*"બે ટીપાં જિંદગીના-પોલિયો રસીકરણ અભિયાન"*
*"સુરેન્દ્રનગર જિલ્લામાં "પોલિયો રસીકરણ અભિયાન"નો જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટરથી પ્રારંભ કરાવતા ઇન્ચાર્જ કલેકટરશ્રી રાજેશ તન્ના*
*જિલ્લામાં ૦ થી ૫ વર્ષની વય જૂથના ૨,૧૬,૦૧૬ હજારથી વધુ ભૂલકાઓ, જે પૈકી પ્રથમ દિવસે જ ૮૬% જેટલી કામગીરી પૂર્ણ*
સમગ્ર રાજ્યને "પોલિયો મુકત" કરવાના હેતુ સાથે રાજ્યભરમાં તા. ૨૩ થી ૨૫ જૂન સુધી "પોલિયો રસીકરણ અભિયાન"નો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્નાના હસ્તે જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી "પોલિયો રસીકરણ અભિયાન"નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે શ્રી રાજેશ તન્નાએ ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે સુરેન્દ્રનગર નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી જીતેન્દ્રસિંહ ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. કે. શ્રીવાત્સવ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. હરિત પાદરીયા, જિલ્લા આઇ.ઈ.સી.અધિકારીશ્રી નરેશ પ્રજાપતિ, જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટરની તમામ ટીમ તેમજ ભૂલકાઓના માતા-પિતા બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા "પોલિયો રસીકરણ અભિયાન" હેઠળ કુલ ૦૩ દિવસ કામગીરી અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના ૨,૧૬,૦૧૬ હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. જે પૈકી આજ પ્રથમ દિવસે જ જિલ્લાના કુલ ૮૫૮ પોલિયો બુથમાં ૧,૮૫,૬૦૮ બાળકોને પોલિયોની રસી પીવડાવી, ૮૬% જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે તારીખ ૨૪ અને ૨૫ જૂન ૨૦૨૪ ના રોજ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની કુલ ૧૭૧૬ ટીમ ઘેર ઘેર જઈને માર્કિંગ કરશે અને બાકી રહેલ તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવી, જિલ્લાના તમામ બાળકોને પોલિયો મુક્ત કરવાની કામગીરી કરશે.