શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ - સુરેન્દ્રનગર જિલ્લો
*જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટે વઢવાણ તાલુકાના ભદ્રેશી અને અણીન્દ્રા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો*
*"શિક્ષણ એ વિકાસ અને પ્રગતિની ચાવી છે. યુવાઓ દેશનું ભવિષ્ય છે. દેશના નાગરિકો જેટલા પ્રતિબદ્ધ હોય તેટલો દેશ પ્રગતિ કરે."-કલેકટરશ્રી કે.સી.સંપટ*
રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટે વઢવાણ તાલુકાના ભદ્રેશી અને અણીન્દ્રા ખાતેથી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.
ધોરણ ૧૦ અને ૧૨માં સરસ પરિણામ માટે બાળકો અને શાળાને અભિનંદન આપતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, શિક્ષણ એ વિકાસ અને પ્રગતિની ચાવી છે. ભારત વિશ્વની પાંચમી મોટી અર્થ વ્યવસ્થા છે. યુવાઓ દેશનું ભવિષ્ય છે. દેશના નાગરિકો જેટલા પ્રતિબદ્ધ હોય તેટલો દેશ પ્રગતિ કરે. આપણે નાગરિકો દેશની પ્રગતિનો પાયો છીએ ત્યારે આપણું વર્તન અને આપણો અભિગમ ખૂબ અગત્યના બની જાય છે. વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનો, પડકારો અને તક વિશે વાત કરતાં તેમણે ગ્રામ્ય વિસ્તારના બાળકો શહેરી વિસ્તારની સરખામણીએ વધુ પડકારો વચ્ચે આગળ વધ્યા હોવાથી તેમના સફળ થવાની, ઉચ્ચ સિધ્ધિ પ્રાપ્ત કરવાની સંભાવના વધુ હોય છે તેમ ઉમેર્યું હતું.
ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ વિશે વાત કરતાં કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, ઘણી બધી શાળાઓમાં મોટી ફી લેતી ખાનગી શાળા કરતા વધુ સારી સુવિધાઓ અને વધુ સારા શિક્ષકો સાથે શિક્ષણની સુંદર સુવિધાઓ ઉપલબ્ધ છે. શિક્ષણ સાથે સ્પોર્ટ્સ સહિતની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ અગત્યની હોવાથી મોબાઈલનો વિધાયક ઉપયોગ કરીને અભ્યાસ વિષયક અને વ્યક્તિત્વ વિકાસ સંબંધિત નવીન બાબતો જાણવા બાળકોને સલાહ આપી હતી.
કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે અમલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ભવિષ્યમાં કારકિર્દીની અનેકવિધ તકો રહેલી છે ત્યારે વિદ્યાર્થીઓની કારકિર્દી વિષયક મૂંઝવણ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, માત્ર ડોકટર અને એન્જિનિયર બનવું જ સફળતાનો પુરાવો નથી, પણ એના સિવાય ઘણા ક્ષેત્રો છે જે એટલા જ અગત્યના છે. તેમણે બાળકોને પોતાના રસ-રૂચી અનુસારના ગમતા ફિલ્ડમાં ખૂબ મહેનત કરવા અને ઉચ્ચ સિધ્ધિ મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું.
વિકાસમાં સ્ત્રી ભાગીદારીની વાત કરતા તેમણે જણાવ્યું કે, ભાઈઓની સાથે બહેનો પણ ઉચ્ચ શિક્ષણ મેળવે અને કારકિર્દીનું ઘડતર કરે તે દેશના વિકાસ માટે અતિ આવશ્યક છે. દીકરીઓ આજે અવકાશયાત્રીઓ બની છે ત્યારે આપણ દેશની દીકરીઓને પણ અભ્યાસની અને ઈચ્છા મુજબ જીવનમાં આગળ વધવાની તક મળે તે સુનિશ્ચિત કરવું આપણા સૌની ફરજ છે.
શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના બાળકોએ કન્યા કેળવણી જેવા વિષયો પર પોતાના વિચારો રજુ કર્યાં હતાં. શાળાના તેજસ્વી બાળકો, N.M.M.S. અને CETમાં પસંદ પામેલ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ દાતાશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે ગામના સરપંચશ્રી, પદાધિકારીશ્રીઓ, સદસ્યશ્રીઓ, શેઠ એમ.ટી.એમ.સરકારી હાઇસ્કૂલના આચાર્યશ્રી અમીનભાઈ ઘેસાણી, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.