ઘેલા સોમનાથમાં શ્રાવણ માસમાં ઉમટી રહયો છે માનવ મહેરામણ

Machhu news morbi
ઘેલા સોમનાથમાં શ્રાવણ માસમાં ઉમટી રહયો છે માનવ મહેરામણ

વિદેશી આક્રમણોથી બચાવવા રાજકોટ જિલ્લાના સોમ પીપળીયા ગામે સ્થાપિત કરાયેલું "સોમનાથ"નું પ્રાચીન શિવલિંગ એટલે "ઘેલા સોમનાથ": મીનળદેવીના દર્શન વિના યાત્રા અધુરી ગણાય
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આકર્ષક એમ્યુઝમેન્ટ પાર્ક, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેઠાણની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધઃ બંને સમય ભોજન પ્રસાદીની સુવિધાઃ ગૌશાળામાં ૧૫૦ ગાયોનો નિભાવઃરૂ. દસ કરોડથી પણ વધુ રકમના મંદિરના વિકાસ કામો પ્રગતિમાં

 રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સોમપીપળિયા ગામમાં શ્રી ઘેલા સોમનાથ મંદિર આવેલું છે. હાલમાં શ્રાવણ માસમાં આ યાત્રાધામમાં ભારતભરમાંથી માનવ મહેરામણ ઉમટતો રહે છે. આ તીર્થસ્થાન અનેક શ્રધ્ધાળુઓનું આસ્થાસ્થાન છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો જેવા કે લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકમેળા અહીં યોજાઇ રહયા છે. આ લોકમેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે. 

*શ્રી ઘેલા સોમનાથ મંદિરનું સંચાલન રાજકોટ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ હસ્તક-
આ સમિતિ દ્વારા આ તીર્થસ્થળનો સગવડભર્યો સુંદર વિકાસ થઇ રહયો છે. અહીં સત્સંગ હોલ, આકર્ષક બગીચાઓ, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેવાની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બંને સમય ભોજન પ્રસાદી પણ વિનામૂલ્યે અપાય છે. ટ્રસ્ટની પોતાની જ ગૌશાળા પણ છે. જેમાં ૧૫૦ જેટલી નાની મોટી ગાયોનો નિભાવ થાય છે. આ ઉપરાંત, રૂ. દસ કરોડથી પણ વધુ રકમના શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામો, શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનું લોંન્ચીંગ તથા ઘેલા સોમનાથ મંદિર નજીકમાં એમ્યુઝમેન્ટ પાર્કના લોકાર્પણ થયા છે. જેનાથી યાત્રિકોને વધુ સગવડો મળશે અને પ્રવાસનને વેગ મળશે.

આ મંદિરના ટ્રસ્ટના ચેરમેન કલેકટરશ્રી પ્રભવ જોષી, વાઇસ ચેરમેનશ્રી નાયબ કલેકટશ્રી ગ્રીષ્મા રાઠવા, સભ્ય સચિવ જસદણ મામલતદારશ્રી એમ.ડી.દવે, વહિવટદાર નાયબ મામલતદારશ્રી હિરેન મકાની છે. 

*મંદિરના વિકાસ કામો -
અંદાજિત રૂ. ૧,૮૬,૨૬,૦૦૦ ના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મીનળદેવી મંદિરનું રાજસ્થાની સેન્ડ સ્ટોનથી મારબલ ફલોરીંગ અંદાજિત રૂા. ૧૬,૯૦,૦૦૦ ના ખર્ચે, મંદિર ટેકરી ઉપર જવા માટે ૩.૬૫ મીટર પહોળાઈના પગથીયા તથા રેલીંગનું કામ રૂ. ૪૪૫૬૦૦૦ ના ખર્ચે , રૂ. ૬ લાખના ખર્ચે પગથીયાની બન્ને તરફ વચ્ચેના ભાગમાં વિશ્રામ કુટીર, રૂ ૪૪,૭૫,૦૦૦ ના ખર્ચે ટેકરીની ઉપરના ભાગમાં ગાર્ડન તથા રમતગમતની રાઈડ, રૂા. ૨૫,૬૫,૦૦૦ ના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, રૂ. ૩,૪૦,૦૦૦ ના ખર્ચે પગથીયા પાસે સેન્ડ સ્ટોનની ડેકોરેટીવ પ્રવેશદ્વાર, રૂ ર,૦૦,૦૦૦ લાખના ખર્ચે ધ્વજા દંડ શિખર ઉપરનું સ્ટીલ પ્લેટફોર્મ તથા સ્ટીલ સીડી તથા રૂ. ૨૧,૫૦,૦૦૦ ના ખર્ચે સબમર્શીબલ પંપ, વોટર પંપ, વોટર સ્ટોરેજ ટેન્ક તથા પાઈપ લાઈન તથા રૂ. ૨૧,૫૦,૦૦૦ ના ખર્ચે પાવર સપ્લાયની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

શ્રાવણ માસના પ્રારંભે જ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે ધેલાસોમનાથ- રાજકોટ વાયા જસદણ રૂટની બસ તથા રૂ. ૧૮૬ લાખના ખર્ચે નવીનીકરણ થયેલા શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું લોકાર્પણ તાજેતરમાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ કર્યુ હતું.

*ગર્ભગૃહમાં જળાભિષેક માટે ધોતી પહેરવી ફરજીયાત- 
ઘેલાસોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જો તમારે મંદિરના ગર્ભગૃહ માં જવું હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને જળાભિષેક કરવો હોય તો મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ આપવામાં આવે છે, જેનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. 
મીનળદેવીના દર્શન વગર યાત્રા અધુરી ગણાય-
નદી કિનારે આવેલ ઘેલા સોમનાથ મંદિરની સામે જ પર્વત ઉપર જૂનાગઢના રાણી મિનળ દેવીએ સમાધિ લીધી હતી, ત્યાં મીનળદેવીનું મંદિર છે. જો તમે ઘેલાસોમનાથ મહાદેવનાં દર્શન કરો અને મીનળદેવીના દર્શન ન કરો તો તમારી યાત્રા અધુરી ગણાય છે.

*ધેલા સોમનાથ કઇ રીતે પહોંચવુ-
સૌરાષ્ટ્રની પાંચાળ પંથકનાં રાજકોટ જિલ્લાનાં જસદણથી ૧૫ કિ.મી. દુર ઘેલો નદીનાં કિનારે શ્રી ઘેલાસોમનાથ મહાદેવ બિરાજમાન છે. આ મંદિરનો આશરે ૧૫ મી સદી ૧૪૫૭ ની આસપાસનો ઇતિહાસ છે. ઘેલાસોમનાથ દાદાનાં દર્શને જવા માટે રાજકોટથી ૭૫ કિલોમીટરનો રસ્તો છે અને સુરત વડોદરા કે અમદાવાદ તરફથી આવતા યાત્રાળુઓ બગોદરાથી ધંધુકા અને પાળીયાદ થઇને વિંછીયાથી ઘેલા સોમનાથ જઇ શકાય છે.

બોક્સ
*"ઘેલા સોમનાથ"નો સોમનાથ સાથેના જોડાણનો રસપ્રદ ઇતિહાસ... 

વિક્રમની ૧૫ મી સદી એટલે કે વિક્રમ સંવત ૧૪૫૭ની આસપાસ ગુજરાત પર સુલતાન જાફર મોહમદની આણ વર્તાતી હતી. ત્યારે જુનાગઢ પર કુંવર મહિપાળનું શાસન ચાલતું હતું. ચંદ્રએ આરાધેલા સોમનાથ મહાદેવ પર રા'મહિપાલને તથા રાણી મિનલદેવીને અનન્ય શ્રદ્ધા હતી. સુલ્તાન જાફર સોમનાથ પર ચઢી આવે છે એવી જાણ થતાં રા’એ તમામ શાખાના ક્ષત્રિયોને સોમનાથની સખાતે ચઢતા કહેણ મોકલ્યા.

લાઠીથી નોંઘણજી ગોહિલના પુત્ર હમીરજી ગોહિલ પોતાના કારભારી વેણીદાસ ગોરડિયા (કપોળ વણિક)ને સાથે લઇ સોમનાથની વ્હારે ચાલી નીકળ્યા. સોમનાથને રસ્તે જતાં કુંવર હમીરજી સાથે ગોરડકાથી ત્રીસ ધોડેસ્વારો જોડાયા. વેણીદાસ ગોરડિયાના ચારેય પુત્રો ગોગન, ઘેલો, ગોઈયો અને કરશનજી તેમજ વેજલ ભટ્ટ અને મેહુર ભરવાડ પણ હમીરજી સાથે સોમનાથના રક્ષણ કાજે નીકળી પડ્યા. સૌ ક્ષત્રિય સોમનાથની વાટે જઇ રહ્યા હતા. 

પ્રભાસના ગોંદરે જુનાગઢના રાજવી, વળાના ક્ષત્રિયો, ચુડાસમાઓ વગેરે ક્ષત્રિયો, ‘સોમનાથ દાદા' ને પોતપોતાના પ્રદેશમાં ખસેડી જવાની વાતો કરી રહ્યા હતા. તે દરમ્યાન ‘હિરાગરજી’ સામા મળ્યા. તેમણે કહ્યું કે “હું પ્રભાસથી આવું છું ‘સોમનાથ દાદા’એ મને સ્વપ્નમાં કહ્યું છે કે ‘સોમનાથ પાલખીએ ચઢે-આગળ પોઠિયો પડે-જયાં જયાં પોઠિયો જાય ત્યાં ત્યાં દાદો જાય, પોઠિયો બેહક પડે ત્યાં સ્થાપન થાય' (અસલ ભાષામાં) (અર્થાત સોમનાથ લિંગને પાલખીમાં પધરાવવું, આગળ તેમનો પોઠિયો ચાલે અને તેની પાછળ પાલખી ચાલે, પોઠિયો જ્યાં બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન થાય.)

 હિરાગરજીની આ વાત સૌને ગળે ઉતરી, અને સૌએ કહ્યું કે ‘“ભલે ભલે ‘સોમનાથ દાદા’ની મરજી હોય ત્યાં જાય.’’ ત્યાર પછી બધા પ્રભાસ પહોંચ્યાં. “દાદા”ની પાલખી તૈયાર કરાવી, ‘“દાદા’”ની બાણને (લિંગ)ને પાલખીમાં પધરાવ્યું. જ્યારે સુલ્તાનને “દાદા”ની પાલખી “ગોરડકે” પહોંચ્યાના વાવડ મળ્યા ત્યારે તેના સૈન્યે ગોરડકાને ઘેર્યું. આ વખતે ધિંગાણું થયું. તેમાં ગોઇયો (વેણીદાસ ગોરડિયાનો દીકરો) મરાયો, તેની યાદમાં ગોરડકામાં વાવ પાસે તેની ખાંભી કરવામાં આવી. આ વાવને “ગોઇયાની વાવ” કહેવામાં આવે છે જે હાલ પણ મોજુદ છે, 

“સોમનાથ દાદા’”ની પાલખી આગળ ને આગળ નીકળી ગઇ છે, તેવા વાવડથી સુલતાન તેની પાછળ પડયો. ગોરડકાથી ચાલીશ કોશ દૂર ભડલી અને માલગઢના માર્ગે પાલખી પહોંચી ત્યાં સુલ્તાનનું સૈન્ય જઇ પહોંચ્યું. આ વખતે ચુડાસમાનું રક્ષકદળ જે પાલખીની ફરતે ચાલતું હતું તેમાં ઘેલો ગોરડિયો પાલખીમાંથી કૂદી પડ્યો. પાલખી આગળ વધતી ચાલી, ઘેલો ગોરડિયાની સરદારી હેઠળ સુલ્તાનના સૈન્ય સાથે આઠ દિવસ સુધી ધિંગાણું ચાલ્યું...

“ગોમન, ઘેલો, ગોઇયો, કરશન, વેજલ ભટ્ટ ...
સોમનાથ, શરણે ગયા, રાખી ધારિયા વાટ...."

જ્યારે એક બાજુ ધીંગાણું ચાલતું હતું ત્યારે બીજી બાજુ ભડલી અને માલગઢથી બે કૌશ દૂર ‘‘પોઠિયો’’ બેહક પડ્યો. ત્યાં આગળ તે જ જગ્યાએ ભગવાન સોમનાથનું સ્થાપન વેજલ ભટ્ટે કરાવ્યું અને પૂજા ભણાવી. ઘેલા ગોરડિયાને અમર બનાવવા આ સ્થાનકને "ઘેલા સોમનાથ"નું નામ આપવામાં આવ્યું. ઘેલા સોમનાથની સ્થાપનાના દિવસોમાં સુલ્તાનના સૈન્યના વેરણછેરણ થયેલા સૈનિકો ત્યાં ચઢી આવ્યા અને ત્યાં જ ધિંગાણું થયું. તેમાં વેજલ ભટ્ટ મરાયા. આ વખતે દાદાના બાણ ઉપર પણ તલવારના પ્રહારો પડ્યા હતા. જે આજે પણ શિવલીંગ પર કળાય છે. 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !