*સહકાર થી સમૃદ્ધિ*
૦૦૦૦૦
*સહકારમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં "સહકાર થી સમૃધ્ધિ" સમીક્ષા બેઠક યોજાઈ*
*- સહકાર થી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને ગ્રામજનોને ઘર આંગણે જ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.*
*-દેશનાં સહકારી માળખાને વધુ મજબૂત બનાવવા માટે ૫૪ જેટલા ઈનિશિએટિવ્સ લેવામાં આવ્યા, જેનું અમલીકરણ માત્ર ગુજરાત પૂરતું ન રાખીને સમગ્ર દેશમાં કરવાનું આયોજન*
*-પેકસ દ્વારા દૂધ કલેક્શન પણ થઈ શકે તે માટે મોડેલ બાયલોઝમાં સુધારો કરી નવો એક આયામ ઉમેરવામાં આવશે*
*-આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દરેક અમૂલ સ્ટોર ઉપર વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરાશે*
‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યકક્ષાના સહકારમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને "સહકાર થી સમૃધ્ધિ" સમીક્ષા બેઠક યોજાઈ હતી. પાયાના સ્તરે સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલી આ બેઠકમાં સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ, સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટ, તેના મુખ્ય ઉદ્દેશો અને એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં હતી.
આ બેઠકને સંબોધતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રની અગત્યતા સમજી દેશના દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ કેન્દ્રીય સહકારિતા મંત્રાલય બનાવ્યું. જેમાં દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહે સુકાન સંભાળ્યું. દેશનાં સહકારી માળખાને મજબૂત બનાવવા માટે ૫૪ જેટલા ઈનિશિએટિવ્સ લેવામાં આવ્યા છે. જેનું અમલીકરણ માત્ર ગુજરાત પૂરતું ન રાખીને સમગ્ર દેશમાં કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વધુમાં ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રે મહત્વની એવી પ્રાયમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી (PACS) એટલે કે પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટીઓને વધુ મજબૂત કરવા માટે તમામ મંડળીઓને કમ્પ્યુટરાઈઝ કરવામાં આવી રહી છે. પેક્સ દ્વારા કરવામાં આવતી જુદી જુદી કામગીરીમાં સુધારા કરી નવા મોડેલ બાયલોઝ અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત પેક્સ માટે નવા ૧૭ આયામો ઉમેરવામાં આવ્યા છે. પેકસ દ્વારા દૂધ કલેક્શન પણ થઈ શકે તે માટે બાયલોઝમાં સુધારો કરી નવો એક આયામ ઉમેરવામાં આવશે.
તદુપરાંત, દેશમાં એક નિકાસ મંડળી પણ ખોલવામાં આવી છે. આગામી દિવસોમાં આ મંડળી દ્વારા પેક્સ પાસેથી ખેત ઉત્પાદનો સ્વીકારીને નિકાસ કરવામાં આવશે. નિકાસથી મળતો ભાવવધારાનો નફો ફરી ખેતમંડળી સુધી પહોંચશે અને ખેડૂતોની આવકમાં વધારો થતાં ખેડૂત સમૃદ્ધ થશે. આમ સહકાર વિભાગ દ્વારા પેક્સના માધ્યમથી ખેડૂતોની આવક વધારવાના સચોટ પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દરેક અમૂલ સ્ટોર ઉપર વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવાની પણ વિચારણા ચાલી રહી છે.
આ તકે મંત્રીશ્રીએ ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં અમલી પાયલોટ પ્રોજેક્ટ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓના અનુભવો, પહેલોની ચર્ચા કરી હતી. તેમજ દરેક ગામમાં બેંક મિત્રો અને માઈક્રો એ.ટી.એમ.હોવાના ફાયદા ઉદાહરણ સાથે સમજાવ્યા હતા. વધુમાં, સહકારી બેંકો અને મંડળીએ લોકોમાં વિશ્વાસ સંપાદિત કરી લોકોને સલામત અને ટેક્નોલોજીયુક્ત બેન્કિંગ સેવાઓ પૂરી પાડવાનો ઉદેશ છે ત્યારે વધુમાં વધુ નાગરીકો સહકારી બેન્કો સાથે જોડાય અને કો-ઓપરેટીવ મોડલ બનાવવામાં સહભાગી થાય તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓને અનુરોધ કર્યો હતો. તેમજ લોકો માહિતગાર થઈ શકે તે માટે તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમ કરી દરેક ગામ સુધી માહિતી પહોંચાડવા સૂચવ્યું હતું.
સહકાર સચિવ શ્રી સંદીપકુમારે સહકાર થી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, "જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ એકબીજાને મદદ કરે, જેનાથી તમામ સંસ્થાઓનો વિકાસ થાય, મજબૂત અને સધ્ધર બને. જે અંતર્ગત તમામ સહકારી સંસ્થાના સભાસદો, વેપારીઓએ તમામ નાણાકીય વ્યવહારો સહકારી બેન્ક થકી થાય તો જ "સહકાર થી સમૃધ્ધિ" સૂત્ર ચરિતાર્થ થાય.
આ બેઠકના પ્રારંભે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો - ઓપ. બેંક લી.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરશ્રી દ્વારા સહકારથી સમૃધ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલ કામગીરી પ્રેઝન્ટેશનનાં માધ્યમથી આપવામાં આવી હતી. ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લી. ના ચેરમેનશ્રી હરદેવસિંહ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન, ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લી.ના ડાયરેકટર શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્યશ્રી પી. કે. પરમાર, ગુજરાત માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનશ્રી શામળભાઈ પટેલ, અગ્રણી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, સુરસાગર ડેરીના પ્રમુખશ્રી બાબાભાઈ ભરવાડ, સહકારી મંડળી જીલ્લા રજીસ્ટ્રારશ્રી તેમજ જિલ્લા તથા તાલુકાની સહકારી મંડળીઓ, સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.