Dt. 23.5.2024 MACHHU NEWS MORBI
દીકરીઓએ દરેક ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપ્યા છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
આઠ નવા પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓમાં સાત મહિલાઓ : દીકરીઓની પ્રગતિ માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત કેડરના વર્ષ 2023ની બેચના પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓની સૌજન્ય મુલાકાત
ગુજરાત કેડરના વર્ષ 2023 ની બેચના પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓએ આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, પ્રતિભા, કૌશલ્ય અને સખત પરિશ્રમથી, માતા-પિતા અને ગુરુજનોના આશીર્વાદથી આપ આઈ.એ.એસ. તરીકે સર્વોચ્ચ પ્રશાસનિક પદ પામ્યા છો ત્યારે સેવાકાળ દરમિયાન એવા કર્મો કરજો કે દુ:ખિયારા લોકોના આંસુ લૂછી શકાય, કોઈ જરૂરિયાતમંદના ઘરને ઉજ્જવળ કરી શકાય, યુવા પેઢીને તેના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે તૈયાર કરી શકાય. જે સત્કર્મો કરે છે તેને જ ઈતિહાસ યાદ રાખે છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપ ભાગ્યશાળી છો કે સેવા માટે આપને ગુજરાત જેવું રાજ્ય મળ્યું છે, જે હર ક્ષેત્રમાં અગ્રેસર છે. ગુજરાતના લોકો પરિશ્રમી, પ્રગતિશીલ અને સહયોગી છે. ગુજરાતીઓમાં પોતાના પ્રદેશને આગળ વધારવાની ભાવના રહેલી છે.
આઠ નવા પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓમાં સાત મહિલાઓ છે. દીકરીઓની પ્રગતિ માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રાચીનકાળમાં મૈત્રેયી, ગાર્ગી, લોપામુદ્રા, રત્નાવલી, વિશ્વઆરા જેવી વિદુષી મહિલાઓ થઈ ગઈ, જેમણે ભારતના ગરિમા અને ગૌરવમાં વૃદ્ધિ કરી છે. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યા માટે સરસ્વતી દેવી છે, વીરતા માટે દુર્ગા અને પાલનપોષણ માટે જગતજનની જગદંબા છે. ઈશ્વર પછી માતૃશક્તિને જ ભગવાનનો દરજ્જો મળ્યો છે. વર્તમાનમાં પણ દીકરીઓએ દરેક ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપ્યા છે.
આઈ.એ.એસ.ની કઠિન પરીક્ષા પાસ કરીને નવી જવાબદારી સંભાળવા જઈ રહેલી દીકરીઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, ભારતના ગામડાઓમાં વિકાસની ક્ષમતા છે, તેમને વિકાસનો અવસર આપજો. શિક્ષણનો વ્યાપ વધે તે માટે પ્રયત્ન કરજો. તમે તમારા જિલ્લા માટે આદર્શ બનો અને માતા-પિતા તથા રાષ્ટ્રનું ગૌરવ વધારીને નવા કીર્તિમાન સ્થાપો એ જ શુભકામના.
ગુજરાતને ફાળવાયેલા આ પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓએ સરદાર પટેલ ઈન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપામાંથી ઈન્સ્ટિટ્યૂશનલ તાલીમ પૂર્ણ કરી છે. હવે તેઓ અલગ અલગ જિલ્લાઓમાં ક્ષેત્રીય તાલીમ મેળવશે.