*લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪*
*સુરેન્દ્રનગર જિલ્લામાં નાટક થકી મતદારોને ‘મતદાન જાગૃતિ સંદેશ’ પાઠવતા નાટ્ય કલાકારો*
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા. ૦૭ મે ના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના હેતુથી સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) અભિયાન અન્વયે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જેમાં ૬૦ – દસાડા વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટર શ્રી જયંતસિંહ રાઠોર તથા ૬૪ - ધાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી એચ.કે.આચાર્યના નેતૃત્વ હેઠળ ઓછું મતદાન થતા હોય તેવા ચિન્હિત વિસ્તારો તેમજ ગામોના મતદાન મથકોએ મહત્તમ મતદાન થાય તે માટે જુદા જુદા વ્યાપક પ્રમાણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે દસાડા વિધાનસભામાં સમાવિષ્ટ પાટડી તાલુકાનાં ઇન્દિરાનગર વિસ્તારમાં તેમજ ધ્રાંગધ્રા વિધાનસભામાં સમાવિષ્ટ નિમકનગર સહિતના જુદા જુદા સ્થળોએ શેરી નાટક થકી મતદાર જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં નાટ્ય કલાકારોએ મતદાન જાગૃતિ સંદેશ પાઠવતી પ્રેરણાત્મક નાટિકા પ્રસ્તુત કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. ખાસ કરીને મહિલા મતદાતાઓ પરિવાર સાથે મહત્તમ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઝાલાવાડવાસીઓએ નાટિકા નિહાળ્યા બાદ પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે “હું અવશ્ય મતદાન કરીશ” નાં શપથ લીધા હતા. આ તકે સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, બુથ લેવલ ઓફિસર, આંગણવાડી કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦