૧ વર્ષ પહેલા પોલીસ પરીક્ષામાં નાપાસ થતા દીકરાએ કર્યો હતો આપઘાત, સુસાઈડ નોટ પોલીસે કબજે લીધી.
વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં નવા વર્ષના પ્રારંભે જ સમગ્ર પંથકને હચમચાવી નાખનાર કિસ્સો સામે આવ્યો છે જ્યાં માતા અને બે દીકરીઓએ સામુહિક આપઘાત કરી લીધો હતો સવારના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ માતા અને બે દીકરીઓએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું જે ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી તો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે્
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા, મંજુલાબેન ભરતભાઈ ખાંડેકા (ઉ.વ.૪૫) અને તેની બે પુત્રીઓ સેજલબેન ખાંડેકા (ઉ.વ.૧૯) તથા અંજુબેન ખાંડેકા (ઉ.વ.૨૩) એમ ત્રણ માતા-પુત્રીઓએ આજે સવારે પોતાના ઘરે સામુહિક આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ ટીમ ઘટના સ્થળ દોડી ગઈ હતી અને ત્રણેય મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સુસાઈડ નોટ મળી આવી, પુત્ર-ભાઈના આપઘાતથી ગમગીન હતા.
માતા અને બે દીકરીઓના સામુહિક આપઘાતની ઘટનામાં સુસાઈડ નોટ પોલીસે કબજે લીધી છે બનાવ મામલે ડીવાયએસપી ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ૧ વર્ષ પૂર્વે મૃતક મંજુબેનના પુત્ર અજયે પોલીસ ખાતાની પરીક્ષા આપી હતી જેમાં તેઓ નાપાસ થતા ગત તા. ૧૨-૦૪-૨૦૨૩ ના રોજ આપઘાત કર્યો હતો જેના દુઃખમાં આજે માતા અને બે દીકરીઓએ આપઘાત કરી લીધો હતો અને સુસાઈડ નોટ મળી આવી છે જેમાં પણ દીકરા વગર જીવી સકે તેમ ના હોવાનું લખ્યું છે સાથે જ આપઘાત માટે પોતે જ જવાબદાર હોવાનું લખ્યું છે તેમ માહિતી આપતા ડીવાયએસપીએ જણાવ્યું હતું.
ત્રણ અર્થી એક સાથે ઉઠતા આખો વિસ્તાર હિબકે ચડ્યો
માતા અને બે યુવાન દીકરીઓએ આજે આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું જે સામુહિક આપઘાતની ઘટના વાયુવેગે પંથકમાં પ્રસરી જવા પામી હતી તો મૃતક માતા અને બે દીકરી એમ એકસાથે ત્રણ અર્થી સાંજે ઉઠતા સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યો હતો સાંજે ત્રણેય માતા-પુત્રીઓની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.