કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદશ્રી પૂનમબેન માડમે તાલુકા કક્ષાના મીલેટસ કૃષિ મેળામાં વિવિધ સ્ટૉલ્સની મુલાકાત લીધી

Machhu news morbi
*કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદશ્રી પૂનમબેન માડમે તાલુકા કક્ષાના મીલેટસ કૃષિ મેળામાં વિવિધ સ્ટૉલ્સની મુલાકાત લીધી* 

*સ્ટોલ્સમાં કમલમ ફળ, દેશી મધ, જુવાર, રાગી, બાજરાના છોડના નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા*
*જામનગર તા.23 ઓક્ટોબર,* રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર માર્કેટિંગયાર્ડ ખાતે તાલુકા કક્ષાના મીલેટસ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.વિભાગ, ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગો દ્વારા લાભાર્થીઓને માહિતી પૂરી પડતા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રીશ્રીની સાથે સાંસદશ્રી પૂનમબેન માડમ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓએ આ સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી, તેમજ લાભાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.  

કાર્યક્રમમાં, કૃષિવિભાગના સ્ટોલમાં મિલેટસ પાક જેવા કે બાજરી, જુવાર અને રાગી જેવા વિવિધ પ્રકારના છોડ લગાવવામાં આવ્યા હતા. તેમજ ધાન્યોના સેમ્પલ્સ મુકવામાં આવ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને મીલેટસના રોજીંદા જીવનમાં ઉપયોગ કરવાથી થતા લાભો વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળના લાભાર્થીઓને જે આર્થિક સહાય આપવામાં આવે છે, તેમાં બાકી રહેલ ખેડૂતના ઈ-કે.વાય.સી, આધારકાર્ડ સીડીંગ પ્રોસેસ તથા લેન્ડ સીડીંગ કામગીરી સ્થળ પર જ પરિપૂર્ણ કરવામાં આવી હતી. 

આ ઉપરાંત, બાગાયત વિભાગના સ્ટોલમાં કમલમ ફળ અને દેશી મધના સેમ્પલ્સ મુકવામાં આવ્યા હતા. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મધ ઉછેર કેન્દ્ર કઈ રીતે ચલાવવું જોઈએ તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ, આત્મા પ્રોજેક્ટ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદન થયેલા પાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોસ્ટલ બેન્ક, એસ.બી.આઈ. બેન્ક, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના સ્ટોલ, પ્રગતિશીલ ખેડૂતોના સ્ટોલ, જી.એ.ટી.એલ. કંપની સહિતના કૃષિ પ્રદર્શનના સ્ટોલ જાહેર જનતામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તમામ સ્ટોલ્સની 1250 જેટલા ખેડૂતોએ મુલાકાત લીધી હતી. 

આ કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે કૃષિ યાંત્રીકરણ, સિંચાઈના સાધનોના ચૂકવણા હુકમનું વિતરણ તેમજ આત્મા યોજના હેઠળ ફુડ સિક્યુરીટી મિશનની શાકભાજી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન, મંચસ્થ મહેમાનો, ખેતીવાડી અને બાગયત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !