મોરબી ખાતે સામાજિક આગેવાન દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં તેમણે સફાઈ કર્મીઓ સાથે પોતાનો જન્મદિન ઉજવ્યો હતો અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવાની પહેલ કરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ખાતે રહેતા સામાજિક આગેવાન સુરેશભાઈ સીરોહિયાએ સો- ઓરડી ખાતે વોર્ડ નંબર 4માં આવેલા પોતાના નિવાસ સ્થાને આજે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો પરંતુ આ ઉજવણી સમાજ માટે સીમાચિન્હ રૂપ બને તેવી હતી. કારણ કે તેમણે મોરબી નગરપાલિકાના સફાઈકર્મી બહેનો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. બહેનોએ પણ કુંકુ-તિલક કરી, પેંડા ખવડાવીને તેમનો જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રકારે સુરેશભાઈ સફાઈ કામદારો અને પરિવારને સાથે જોડીને દરેક તહેવાર તથા શુભ પ્રસંગ નિમિત્તે ખાસ ઉજવણી કરે છે. સુરેશભાઈનું માનવું છે કે સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવામાં આવે અને સૌએ વસુધૈવ કુટુંબકમની ભાવનાને અપનાવીને એક સાથે રહેવું જોઈએ આ પ્રકારે પોતાનો જન્મદિન ઉજવીને તેમણે કુરિવાજને તિલાંજલિ આપીને સમાજ માટે દાખલા રૂપ કાર્ય કર્યું હતું.