જુના લુણસરીયા ગામથી વીશીપરા વચ્ચે યુવાનનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો.
વાંકાનેર: શહેર નજીક આવેલ વાંકાનેર, તાલુકાના (ધમલપર) ગામની સીમમાં જુના લુણસરીયા ગામથી વીશીપરા વચ્ચે એક યુવાનની શરીરે ઇજાઓના નિશાન સાથે હત્યા કરાયેલી, હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે તત્કાલ તપાસ શરૂ કરી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં જુના લુણસરીયા ગામથી વીશીપરા તરફ જતા રોડ પર એક અજાણ્યા યુવાનની શરીરે ઇજાઓના નિશાન સાથે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ બનાવની તપાસ શરૂ કરી હતી.
જેમાં આ મૃતદેહ કાર્તિકસિંગ રૂહાસિંગ (ઉ.વ. 31, રહે. મુળ અજોધિયા વાયા નીલગીરી, ઓડીશા) નામના યુવાનનો હોવાનું બહાર આવ્યું હતું, જેમાં મૃતક યુવાન વાંકાનેરના માટેલ રોડ પર આવેલ બ્રાવટ કારખાનામાં રહેતો હોય અને ગત તા.૧૧ થી લાપત્તા હોવાનું સામે આવ્યું છે, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે લેબર કોન્ટ્રાકટર અરવિંદભાઈ લામકાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે યુવાનની હત્યા કરવા સબબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.