વાંકાનેર તાલુકાના તીથવા ગામે ભરવાડ સમાજના રાવા પરિવાર દ્વારા એક પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. રાવા પરિવારે સ્વર્ગસ્થના અવસાન બાદ યોજાયેલી ઉત્તરક્રિયામાં વપરાયેલા માટીના મોરીયામાંથી પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા બનાવ્યા છે.
મહત્વનું છે કે 24 ફેબ્રુઆરીના રોજ તીથવા ગામે દેવાભાઈ ભીમાભાઈ રાવા (ભરવાડ)નું અવસાન થયું હતું. તેમનું પાણીઢોળ (ઊતરક્રિયા) 2 માર્ચના રોજ રાખવામાં આવી હતી. તે વખતે હીન્દુ શાસ્ત્રો મૂજબ પાણીના મોરીયા માટીના ભરવામાં આવતા હોય છે. જેને વિધિ પૂરી થયા બાદ બહાર મૂકી દેવામાં આવે છે. પહેલાના જમાનામાં આ મોરીયા જરૂરિયાત પ્રમાણે લોકો લઈ જતા હતા. પણ અત્યારે આધુનિક યુગ આવતા તેની જરૂરિયાત ઓછી થવા લાગી છે. તેના કારણે લોકો લઈ જતા નથી અને આ મોરીયા ફેંકી દેવામાં આવતાં હોય છે. ત્યારે રાવા પરિવારને વિચાર આવ્યો કે, આ મોરીયાનો કોઈ સારો ઉપયોગ કરી શકાય. અને પછી આ મોરીયામાંથી પક્ષીઓને ઉનાળામાં પાણી પીવા માટેના કુંડા બનાવાયા હતા અને વિવિધ જગ્યાએ પક્ષીઓ માટે મૂકવામાં આવ્યા છે. આમ રાવા પરિવારે એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.