યુવાનને પૈસાની જરૂર પડતાં બે વ્યાજખોરો પાસેથી રૂ. 30 લાખ 5% વ્યાજે લીધેલા જેની પઠાણી ઉઘરાણી કરી જમીન અને ગાડી પડાવ્યા બાદ હવે 45 લાખ માંગ્યા.
વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને હાલમાં સુરત આયુર્વેદિક ગૃહ ઉદ્યોગ ચલાવતા એક યુવાને પૈસાની જરૂર પડતાં ખેતીની જમીનના કાગળો ગીરવે મૂકી બે વ્યાજખોરો પાસેથી રૂ. 30 લાખ 5 % જેવા ઉંચા વ્યાજે લીધેલા જેના બદલામાં બંને આરોપીઓએ યુવાન પાસેથી ખેતીની જમીન અને કિયા સેલટોસ ગાડી પડાવી યુવાન પાસેથી હજુ 45 લાખની પઠાણી ઉઘરાણી કરી અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે યુવાને બંને વ્યાજખોરો સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા ઇલમુદિન હબીબભાઈ બાદી (ઉ.વ. 40) નામના યુવાનને વર્ષ 2020માં પૈસાની જરૂર પડતાં તેણે વાંકાનેરના કાદરીબાપુ અને અમદાવાદના પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા પાસેથી 5 % ઉંચા વ્યાજે રૂ. 30 લાખ લઈ પોતાની જમીન ગીરવે આપી હતી, જેના બદલામાં યુવાન દર મહિને બંને આરોપીઓને રૂ. 1,50,000 એક કરી અત્યાર સુધીમાં કુલ 27 લાખની રકમ પરત આપેલ.
યુવાને બન્ને વ્યાજખોરોને મોટી રકમ ચૂકવી આપવા છતાં બંને વ્યાજખોરોએ ઇલ્મુદિનભાઈના પિતાના નામે મહિકા ગામે આવેલી ખેતીની જમીનનો બળજબરીથી દસ્તાવેજ કરાવી લઈ અને યુવાનની કિયા સેલટોસ ગાડી પણ પડાવી લઇ હજુ યુવાન પાસે રૂ. 45 લાખની પઠાણી ઉઘરાણી કરી અને આરોપી પ્રહલાદસિંહ પોતે નિવૃત આર્મીમેન હોવાનું કહી યુવાનનું અપહરણ કરી રિવોલ્વરથી ઉડાવી દેવા ધમકી આપતો હોય જેથી આ મામલે યુવાને વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.