વહેલી સવારે 6.30 જાગીને છાપા – પુસ્તકો વાંચી કરે છે સમય પસાર : ઘરનું ગાદલું અને ઘરના ટિફિનની સુવિધા
મોરબી : 800 કરોડની કંપનીનું સામ્રાજ્ય ધરાવતા અને વિશ્વને સમય જોવા માટે ઘડિયાળ સહિતના ડિજિટલ ઉત્પાદનો આપનાર અજંતા – ઓરેવા કંપનીના જયસુખ પટેલની જિંદગીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાએ સમય બદલાવી નાખતા હાલમાં મોરબી જેલમાં ન્યાયિક હિરાસતમાં સમય કાપી રહ્યા છે, ગહન વિચાર શક્તિ ધરાવતા જયસુખ પટેલને મોરબી જેલમાં કોઈ વિશેષ સવલતો નથી મળી પરંતુ ઘરના ગાદલા અને ઘરનું ટિફિન જમવાની સાથે ખોલી નંબર 9માં પોતાની કંપનીના જ ચાર લોકો સાથે જેલ મેન્યુઅલ મુજબ રહે છે.
30મી ઓક્ટોબરના રોજ મોરબીના ઇતિહાસમાં ગોઝારી કહી શકાય તેવી દુર્ઘટનામાં અજંતા – ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થતા આ કેસમાં અગાઉ અજંતા – ઓરેવા કંપનીના બે મેનજર, ટિકિટબારી ક્લાર્ક, બે કોન્ટ્રાકટર અને સિક્યુરિટી ગાર્ડ સહીત 9 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા ચાર્જશીટ દાખલ કરતા સમયે પૂરતા પુરાવા મળતા અજંતા – ઓરેવા કંપનીના મેનજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને પણ આરોપી બનાવી ધરપકડ માટે પ્રયાસો કરવા છતાં તેઓ ન મળી આવતા કોર્ટ મારફતે પકડ વોરંટ ઈશ્યુ કરાવતા 31 જાન્યુઆરી 2023ના રોજ જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરન્ડર કર્યું હતું.
બાદમાં પોલીસ રિમાન્ડ સહિતની કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઇ જયસુખ પટેલને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવા હુકમ થતા એશોઆરામની જિંદગી જીવતા અને રૂપિયા 800 કરોડનું સામ્રાજ્ય ધરાવતા જયસુખ પટેલ મોરબી સબજેલમાં હાલમાં જેલ મેન્યુઅલ મુજબ દિવસો પસાર કરી રહ્યા છે, જેલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મોરબી જેલમાં તેઓને કોઈ વીઆઈપી કહી શકાય તેવી સુવિધા નથી મળી અહીં તેઓને ઘરના ગાદલા અને ઘરના ભોજનની વિશેષ સુવિધા મળી છે.