*જસદણ તાલુકાના ગોડલાધાર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો*
*સરપંચશ્રી, મામલતદારશ્રી, આરોગ્ય અને અન્ય વિભાગના સ્ટાફની ઉપસ્થિતિમાં ગ્રામજનોને માર્ગદર્શન અપાયું * રાજકોટ તા. ૧૯ જુલાઈ -* ગુજરાત રાજયના આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસના લક્ષણો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઠેર ઠેર માર્ગદર્શન આપવામાં આવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોડલાધાર ગામ ખાતે ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિનું આયોજન કરાયું હતું.
આરોગ્ય વિભાગના સ્ટાફે જણાવ્યું હતું કે, આ વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય વાહક જવાબદાર છે. વાયરસના ઇંફેક્શન ૯ માસથી લઇને ૧૪ વર્ષ સુધીના બાળકોને વધુ અસર કરે છે જેમાં બાળકોને સખત તાવ આવવો,ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, બેભાન થવું સહિતના લક્ષણો જોવા મળે છે. આ વાયરસથી બચવા ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવું, શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા ન દેવા અને શરીરે આખા કપડા પહેરવા, સામાન્ય તાવની હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો અને યોગ્ય સારવાર લેવી સહિતની બાબતોથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.
આ સેમિનારમાં ગામના સરપંચશ્રી અશોક એમ. ચાંવ, જસદણ મામતદારશ્રી એમ.ડી દવે, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ, આશા વર્કર બહેનો, શાળાના શિક્ષકો, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.