દૂરદર્શનના દૈનિક ધારાવાહિક 'એક ડાળના પંખી'માં કલા સાંગાણીના નામથી ઘર-ઘરમાં પ્રખ્યાત બનેલા ચારુબેન પટેલનું 83 વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ થયું નિધન.

Unknown

ગુજરાતી ફિલ્મ જગતમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ગુજરાતી નાટકો અને ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે નિધન થયું છે. ચારુબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતાં હતાં. ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારુબેન પટેલે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતા.
ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારુબેન પટેલને તાજેતરમાં પગમાં ફ્રેક્ચર થયું હોવાથી કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેમને અચાનક હાર્ટ-એટેક આવતાં હોસ્પિટલમાં જ તેમનું નિધન થયું હતું. હાલ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાશે અને રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ચારુબેન છેલ્લા ઘણા સમયથી બાકરોલ ખાતે રહેતા હતા.તેમનો જન્મ આફ્રિકાના યુગાન્ડામાં 12 જાન્યુઆરી 1940 ના રોજ થયો હતો. ચારૂબેને બી.એ. ઓનર્સ, એલ.એલ.બી. હિન્દી સાહિત્યરત્ન વર્ધાનો અભ્યાસ કર્યો હતો. તેઓએ 23 વર્ષની ઉંમરે એટલે કે, વર્ષ 1963માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી શરૂ કરી હતી. ચારૂબેને 24 વર્ષની ઉંમરે નોકરીની સાથે નાટ્યક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું હતુ. તેમણે અમદાવાદની સંસ્થાઓ સાથે નાટકોમાં અભિનય કરેલા છે. ચારૂબેને વર્ષ 1998માં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં લગભગ 70 જેટલી ફિલ્મો કરેલી છે. જેમાં મૈયરમાં મનડું નથી લાગતું, મેંતો પાલવડે બાંધી પ્રિત, માંડવડા રોપાવો માણારાજ, દીકરીનો માંડવો, જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ચારૂબેને વર્ષ 1965માં પહેલી ઓરવોકલર ફિલ્મ લીલુડી ધરતીમાં કામ કરેલું. આ ઉપરાંત મિર્ચમસાલા તથા રિહાઈ નામની બે હિન્દી ફિલ્મો પણ કરેલી છે. જ્યારે ત્રણ હિન્દી સીરીયલ કરેલી છે. ખાસ તો ચારુબેન ‘એક ડાળના પંખી’ સિરિયલમાં કલા સાંગાણીનો રોલ અદા કરીને તેઓ વધુ પ્રચલિત થયાં હતાં.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !