સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ સાધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના

Machhu news morbi
*એક કદમ પ્રાકૃતિક ખેતી તરફ....*

*સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ સાધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના*
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માંગ છે ત્યારે ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા મહામુહિમ ચલાવવામાં આવી રહી છે. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામીણ કક્ષાએ “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અન્વયે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના વાઘેલા ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના દ્વારા ખેડૂત શ્રી કાળુભાઈ પટેલનાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા કૃષકોની સંખ્યા વધી રહી છે, ત્યારે આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં જોડવા માટે ખેડૂતોને અનુરોધ કરી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, “એક સમય હતો જ્યારે દેશમાં અનાજની તંગી હતી. આવા સમયે વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરોનો વપરાશ શરૂ થયો. પરંતુ રસાયણિક દવાઓ અને ખાતરોના અવિવેકપૂર્વક ઉપયોગથી પાકની ગુણવતા અને જમીનનું સ્વાસ્થ્ય જોખમાયું છે. કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. જમીન ધીમે ધીમે બંજર અને બિન ઉપજાઉ થઈ રહી છે. આગામી સમયમાં જો આપણે પ્રાકૃતિક ખેતી નહીં અપનાવીએ, તો આ ભૂમિમાંથી ઉપજ મળશે નહીં અને ખર્ચ વધશે. જો પ્રાકૃતિક કૃષિ કરવામાં આવશે તો પાક ઉત્પાદકતા વધશે, પરિણામે આવક વધશે.” 

પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ ધરાવતા શ્રી કાળુભાઈ પટેલે તેઓના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, “આપણા પરિવારની તંદુરસ્તી જળવાઈ રહે અને ઝેરમુક્ત આહાર મળી રહે તે માટે આપણી જરૂરિયાત પૂરતી પણ દરેક ખેડૂતમિત્રોએ ઓછામાં ઓછી એકાદ બે વીઘામાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. જેથી અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ શકે.” 

આ તકે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી. એ. પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “આજે જમીનની તંદુરસ્તી-સ્વાસ્થ્ય ખૂબ ખરાબ થઈ રહ્યું છે. જીવ જગતને જીવાડનાર ધરતીને ફળદ્રુપ અને નવપલ્લવિત કરવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. ફળદ્રુપ જમીન જ વધુ ઉપજ આપી શકે. માનવજાતના શુદ્ધ આહાર માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. 

આ કાર્યક્રમમાં વઢવાણ પ્રાંત અધિકારીશ્રી નિકુંજ ધુળા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેતીવાડી વિભાગ, આત્મા વિભાગના સંબધિત અધિકારીઓ, કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતમિત્રો, ગ્રામજનોએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન મેળવ્યું હતું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !